મહારાષ્ટ્રમાં વિપક્ષ હજુ પણ પોતાની હાર માનતો નથી અને EVM પર સતત સવાલો ઉઠાવી રહ્યો છે. હવે રાજ્યના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું છે કે જ્યારે લોકસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડીએ મહારાષ્ટ્રમાં 31 સીટો જીતી હતી, ત્યારે ઈવીએમ સાચા હતા? શિંદેએ એમ પણ કહ્યું કે અગાઉની મહાયુતિ સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓને કારણે તેઓ જીત્યા હતા.
શિંદેએ લોકસભા ચૂંટણીનું ઉદાહરણ આપ્યું
શિંદેએ કહ્યું કે ‘વિપક્ષે મહારાષ્ટ્રના લોકોએ આપેલી સ્પષ્ટ બહુમતીનું સ્વાગત કરવું જોઈએ. અમારી મહાયુતિ સરકારે અઢી વર્ષમાં આટલું કામ કર્યું, આટલી યોજનાઓ અમલમાં મૂકી, આ પરિણામો તેનું જ પરિણામ છે. ઝારખંડ અને વાયનાડમાં પણ ચૂંટણી યોજાઈ હતી. જ્યાં પણ તેઓ (વિપક્ષ) જીતે છે, ત્યાં ઈવીએમ સારા છે. છેલ્લા કેટલાય વર્ષોથી આવું ચાલી રહ્યું છે. લોકસભામાં મહાયુતિને 43.55% અને મહા વિકાસ અઘાડીને 43.71% વોટ મળ્યા. માત્ર થોડા પોઈન્ટનો તફાવત છે પરંતુ અમને 17 બેઠકો મળી અને તેમને 31 બેઠકો મળી. તો પછી તેમણે ઈવીએમ કૌભાંડનો મુદ્દો નથી ઉઠાવ્યો? ગઈ કાલે તેમણે ઈવીએમ ગોટાળાને ટાંકીને શપથ લીધા નહોતા, પણ આજે શપથ લીધા, તો શું આજથી ઈવીએમ કૌભાંડનો અંત આવી ગયો?

વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડી ઈવીએમને લઈને સવાલો ઉઠાવી રહી છે. આજે રવિવારે મરકડવાડી ગામમાં ઈવીએમ વિરોધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શરદ પવાર અને તેમની પાર્ટીના નેતાઓએ પણ ભાગ લીધો હતો. શરદ પવારે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરી છે.
નાર્વેકરે વિપક્ષને પણ ઘેરી લીધો
ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ પદ માટે નામાંકન ભર્યું છે. આ દરમિયાન રાજ્યના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર પણ હાજર હતા. નાર્વેકરે કહ્યું, ‘મને ફરી આ તક આપવા માટે હું પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સીએમ ફડણવીસનો આભાર માનું છું. ઈવીએમ મુદ્દે તેમણે કહ્યું કે ઈવીએમ અંગે જે કંઈ પણ કહેવામાં આવી રહ્યું છે તે બંધારણની વિરુદ્ધ છે. આ સંસદીય લોકશાહીમાં અવિશ્વાસ પેદા કરે છે.

